આ વર્ષે 145મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેના માટે પોલીસે કમર કરવાનું શરૂ કરી દીધુ. કેટલાક અસામાજિક તત્ત્વો રથયાત્રા ઉપર કાંકરીચાળો કે હુમલો કરીને વાતાવરણ બગાડી શકે તેવી દહેશત છે. કોઇ પણ અસામાજિક તત્ત્વો ત્રણેય રથની નજીક ન આવી શકે તે માટે શહેર પોલીસ પહેલી જ વખત ઈલેક્ટ્રિક કરંટવાળી ટેસર ગનનો ઉપયોગ કરશે. 35 ટેરસ ગનથી તહેનાત પોલીસ અધિકારીઓ – કર્મચારીઓ ત્રણેય રથની આસપાસ બંદોબસ્ત કરશે.
રથયાત્રા માટે અમદાવાદને 35 ટેસર ગન ફાળવવામાં આવી છે. આ ગનનો ઉપયોગ એનએસજી, એસપીજી, ચેતક કમાન્ડો દ્વારા કરવામાં આવે છે. પરંતુ ટેસર ગનની માગણી કરવામાં આવી હોવાથી 35 ગન ફાળવવામાં આવી છે. આ ગનમાં કાર્ટ્રીજ સોઈની અણી જેવી ધારદાર હોય છે. ટારગેટ નક્કી કરીને ફાયર કરવાથી કાર્ટ્રીજ જે તે વ્યક્તિના શરીરમાં ઘૂસી જાય છે અને તેમાં રહેલા ઈલેક્ટ્રિક કરંટની અસરથી કાર્ટ્રીજ વાગનાર વ્યકિત 10 સેકન્ડ સુધી બેભાન થઇ જાય છે. તેટલી વારમાં પોલીસ તેને સરળતાથી પકડી શકે છે.