ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા અગત્યના ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી. હાઇકોર્ટે કહયુ છે કે બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં. જમીનની કિંમત નહીં માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગુ થશે.
જીએસટીના નોટિફિકેશન પ્રમાણે જમીનની કિંમત તથા બાંધકામની કિંમત ભેગી કરી તેના એક તૃતીયાંશ જેટલી કિંમત બાંધકામની કુલ કિંમત ગણીને અેના પર જીએસટી ગણવામાં આવતો હતો. કાયદાકીય જોગવાઇ પ્રમાણે જીએસટી વિભાગ ક્યારેય જમીનની ખરીદ કિંમત પર જીએસટીની વસુલાત કરી શકે નહી. જે કિસ્સામાં જમીનની ખરીદ કિંમત અલગથી દર્શાવતું એમઓયુ હોય તથા તેની સાથે બાંધકામની કિંમત અલગ દર્શાવાઇ હોય તો તેવા કિસ્સામાં માત્ર બાંધકામની કિંમત જ ધ્યાને લઇ તેના પર જીએસટી વસુલવામાં આવે તેવો હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું.
