Thu. Apr 23rd, 2026
    Views 305

    રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધા : રાજકોટ કેન્દ્ર – એક પરિચય

    આજે ખાસ રાષ્ટ્રભાષા અને રાજભાષા વિશે વાત કરવાની ઈચ્છા છે. પી.એન્ડ ટી સેવા ભાવનગરથી આરંભ કરી એક – બે વર્ષમાં જ રાજકોટ પ્રમોશનમાં આવવાનું થયું. હવે મારે સરકારી કામકાજ માં હિન્દીનો પ્રયોગ વધારવાની દિશામાં કાર્ય કરવાનું હતું. ઓફિસમાં લગભગ છઃ – સાત મહિનાના ગાળામાં થોડી સફળતા મળી અને ધીરે ધીરે નક્કર કામ થવાની શરૂઆત થઈ. મને એ પણ સમજાયું કે હિન્દી પ્રચાર – પ્રસારના કાર્યની સાથે દરેક હિન્દી પદાધિકારીએ કાર્યાલયના મૂળભૂત કામકાજમાં પણ રસ દાખવવો જોઈએ અને તેમાં પણ ઉત્કૃષ્ટ નિષ્પાદન આપવા તૈયાર રહેવું જોઈએ. આનાથી આપણી કાર્યક્ષમતામાં નિખાર આવી શકે છે. આપણા ઉચ્ચ અધિકારી આપણી ક્ષમતાથી વાકેફ થાય છે અને ખાસ પ્રકારના વિશ્વાસનું સંપાદન થઈ શકે છે.
    મને યાદ છે, પ્રારંભિક અવસ્થામાં મેં સૌથી વિશેષ ધ્યાન કાર્યાલયોમાં હિંદીનું વાતાવરણ બનાવવા પુરુષાર્થ આદર્યો હતો. હવે અન્ય સંસ્થાઓના હિંદી પદાધિકારીઓ, પ્રોફેસરો અને અન્ય હિંદીસેવી સંસ્થા કર્મઠ સેવકો સાથે ઘરોબો સ્થાપવાની અનિવાર્યતા સમજાવા લાગી.
    રાજકોટમાં હિંદીની વિકાસયાત્રા ત્રિવિધ પ્રકારે આરંભ થઈ. હિંદી સાહિત્ય, રાષ્ટ્રભાષા અને રાજભાષા. આ ત્રણેય ક્ષેત્રના મહાનુભાવો સાથે ક્રમશઃ ઓળખ – ઘરોબો સ્થાપિત થયો. સાહિત્ય ક્ષેત્રે બહુઆયામી પ્રતિભા ડો. એસ.પી. શર્મા સાહેબ જેઓ તે સમયે કણસાગરા મહિલા કોલેજમાં હતા અને પછી ઉત્તરોત્તર વિકાસ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિંદી વિભાગના પ્રથમ વિભાગાધ્યક્ષ બન્યા. હિંદીના વિકાસ માટે અનન્ય પ્રદાન આપી રાજકોટના હિંદી જગતના ‘ગુરુ’ તરીકે આગવી ઓળખ ઉભી કરવામાં અને સહયોગીઓ વચ્ચે વિશેષ આદરણીય બની રહ્યા.
    બીજી વિધા રાષ્ટ્રભાષાની રહી. પીડીએમ કોલેજના રાષ્ટ્રભાષાના મહાસંમેલનથી પ્રચાર પ્રસારની ગતિ વધી. તે પહેલાં હિંદીની પરીક્ષાઓ અને હિંદી દિવસની ઉજવણી થતી હતી. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના રાજકોટ કેન્દ્રના યશસ્વી મહામંત્રી શ્રી જનાર્દન પંડ્યા અને તેમના થકી પ્રમુખ શ્રી મનસુખભાઈ જોશી સાહેબનો સ્નેહલ સંપર્ક આજ સુધી અવિરત બની રહ્યો છે. રાષ્ટ્રભાષાને લોકભોગ્ય બનાવવાની દિશામાં શ્રી જનાર્દન પંડ્યાજીનો સિંહફાળો રહ્યો છે. રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતભરમાં હિંદીની સુવાસ ફેલાઈ અને લોકો હિંદીધર્મી બનવા લાગ્યા. રાજકોટની ગતિવિધિઓનો પડઘો છેક ગુજરાત રિફાઈનરી, વડોદરામાં પ્રતિધ્વનિત થયો. ડા. એસ.પી. શર્માજી અને મને વિશેષ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
    ડા. શર્મા સાહેબે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હિન્દી ભવનની પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો અને તેની સેવાઓ નગર રાજભાષા સમિતિ સુધી પહોંચાડવાનું પુનિત કાર્ય કર્યું. એ જ પરંપરાએ શ્રી જનાર્દન પંડ્યાએ રાષ્ટ્રભાષા સમિતિ વર્ધાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી અંતર વિભાગીય સ્પર્ધાના વિશેષ મંચ સુધી પહોંચાડી શૈક્ષણિક ક્ષેત્રે રાજ્ય અને અખિલ ભારતીય સ્તર પર સેમિનાર, સંગોષ્ઠીઓ, સ્પર્ધાઓ, પુસ્તક પ્રકાશન, પત્રિકા પ્રકાશન અને રાષ્ટ્રભાષાના પ્રવાહને વહેતો કરી ઘર ઘર સુધી રાષ્ટ્રભાષાનો સંચાર કર્યો. શ્રી જનાર્દન પંડ્યા દીર્ઘ દ્રષ્ટા બની રહ્યા. રાષ્ટ્રભાષાના ક્ષેત્રમાં એક નિષ્કામ અને કર્મઠ પ્રતિભાની ઓળખ અંતર વિભાગીય મંચે બરોબર ઓળખી અને તેમને સાદર સમ્માનિત કર્યા. યુનિવર્સિટીના હિંદી ભવન સાથે હિંદીના વિકાસ વિશેષ એમઓયુ કરી પ્રતિબદ્ધ થયા. રાજભાષાના વિકાસ માટે શ્રી જનાર્દન પંડ્યા કેન્દ્ર સરકારના કાર્યાલયોની સહાયતા કરી પ્રયોગશીલ બની રહ્યા.
    દ્રઢ મનોબળ અને અથક પુરુષાર્થના બળે “રાષ્ટ્રભાષા વ્યાખ્યાનમાળા” નો પ્રકલ્પ સતત પાંચ વર્ષ સુધી ચાલ્યો અને અનેક હિંદી પ્રેમિઓ, પ્રોફેસરો તથા રાજભાષાના પદાધિકારીઓ આ પ્રકલ્પથી એકત્ર થતા ગયા અને રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિનું રાજકોટ કેન્દ્ર “ રાષ્ટ્રભાષા તીર્થ” બની ગયું.
    સંસ્થાગત વિકાસયાત્રામાં અનેક વિદ્વજ્જનો સહકાર મળતો રહ્યો છે જેમાં કેટલાક નામ પ્રાતઃ સ્મરણીય બની રહ્યા છે જે પૈકી, ડો. ગિરીશ ત્રિવેદીજી, પ્રો. દિલિપભાઈ આશર, ડો. દક્ષા જોશી, શ્રી પી.બી. સિંહ, શ્રી એલ.ડી. ધમલ, શ્રી એમ.જે. ચંદે, શ્રી સંતોષ શર્મા, શ્રીમતી પ્રતિમા કલોલા, સુશ્રી ઉર્મિલા જુંગી, શ્રી થાવરાણી સાહેબ, શ્રી ત્રવાડી સાહેબ, શ્રી અનિલ દેશાઈ, શ્રી પી.બી. દવે, ડો. કલાસવાજી, ડો. ગામિત, ડો. મુકેશ તન્નાજી, ડો. શૈલેષ મેહતા વિગેરે અનેક મહાનુભાવોનો રચનાત્મક સહયોગ મળતો રહ્યો છે.
    રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિનો વિકાસ અન્ય ક્ષેત્રોની સાથે કોમ્પુટર જેવા અતિઆધુનિક સંસાધનોના ઉપયોગ કરવામાં પણ પાછળ રહ્યો નથી. ગુજરાતમાં રાષ્ટ્રભાષા સમિતિની સર્વપ્રથમ વેબસાઇટ રજૂ કરવાનું શ્રેય શ્રી જનાર્દન પંડ્યા અને શ્રી મનસુખભાઇ જોશી સાહેબને જાય છે। કોમ્પુટર વડે સુસજ્જિત સેમિનારો અને કાર્યક્રમો સંસ્થાગત પ્રવૃત્તિઓનો એક ભાગ બની રહ્યા છે. સંસ્થા દ્વારા માસિક ઇ -પત્રિકાનું નિયમિત પ્રકાશન સંસ્થાનો આગવો પરિચય આપે છે. દર 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રભાષાના ક્ષેત્રે વિશેષ રચનાત્મક પ્રદાન માટે ઘોષિત કરવામાં આવેલ “ રાજકોટ રાષ્ટ્રભાષા રત્ન પુરસ્કાર” અનુપમ છે. અખિલ ભારતીય સ્તર પર આ એક અદ્વિતીય શરૂઆત છે.
    રાષ્ટ્રભાષાના કાર્યને સુંદર રીતે નિષ્પાદિત કરવા તથા આ ક્ષેત્રમાં નવી પેઢીને સમાવવા ત્રણ પદાધિકારીઓની નિમણૂક કરી તેમની માનદ સેવાઓ લેવામાં આવી રહી છે જે પૈકી શ્રી એમ.જે. ચંદે, રાષ્ટ્રભાષા અધિકારી, શ્રી સી.આર. મઢવી, સહરાષ્ટ્રભાષા અધિકારી અને શ્રી પરેશ પંડ્યા, સમન્વય અધિકારીનો સમાવેશ કરવમાં આવ્યો છે.

    Drafted by Deepak pandya
    Dated at Rajkot the 12-09-2023

    જનાર્દન પંડ્યા
    મહામંત્રી

    Happy
    Happy
    0 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    100 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *